થોડુંક આમ જ!

છેલ્લા બે-અઢી વર્ષથી મુખ્યત્વે ગઝલો જ લખું છું. ગઝલના છંદોથી શરૂઆતમાં હું ગભરાતો. પણ ધીમે ધીમે એ સમજી શક્યો કે છંદ નામનું બંધન અંતે તો કવિના અર્ધજાગ્રત મનમાં રહેલી કાવ્યાત્મક શક્યતાઓમાં વિહાર કરવાની તક પૂરી પાડે છે. એકાદ શેર લખાય અને રદીફ કાફિયા નક્કી થાય પછી એના પ્રવાહમાં ઘણી અજાણી/ન વિચારેલી ચીજો ઘસડાઈને બહાર આવે છે. વધુમાં, આ બાહ્યસ્વરૂપનું બંધન કવિની સર્જનશીલતાને પડકારે છે. આમ, સ્વરૂપનું બંધન સ્વીકારવું એ કાવ્ય રચના માટે ઉપકારક જ સાબિત થાય છે.

પણ મારે વાત કરવી છે ગઝલ લખતા-લખતા જડેલા એવા કેટલાક શેરની જે અલગઅલગ કારણોસર રદબાતલ કરવા પડ્યાં કે સ્વરૂપમાં ખૂબ જ બદલાઈ ગયા. એક એવા મૂર્તિકાર જેવી મારી હાલત છે, જે એક આખા પથ્થરમાંથી મૂર્તિ કંડારી લોકોને બતાવે તો છે, પણ મૂર્તિ બનાવતી વખતે પથ્થરનો જે ભાગ કરચો રૂપે નીકળી ગયો એના પર પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો એ મૂર્તિ પર કરે છે.

આ શેર નીકળી ગયા એનું મુખ્ય કારણ તો એ જ હતું કે તેઓ જે-તે ગઝલના ભાવપ્રવાહ સાથે (મૂડ સાથે) ચાલે એવા ન હતાં. ક્યારેક રમુજી તો ક્યારેક સંજીદા. પણ શેર તરીકે એમની પણ એક મજા છે. ભાષણ બહુ થયું, તમે વાંચવાનું છોડી દો એ પહેલા થોડા ઉદાહરણ જ લઉં:

લલગાગા લલગાગા ગઝલમાં એક શેર સુઝ્યો હતો અને કેમે કરીને એને જવા દેવાની ઈચ્છા નહોતી:

આંખોના ઉલાળા અને અડીએ તો બખાળા
અમથા આ વિનયનું લલગાગા લલગાગા

પણ ગઝલ એ એક શિષ્ટ કાવ્યપ્રકાર છે એમાં આવા ઉલાળા-બખાળા ના કરાય. તેથી આ જ શેર સભ્ય ભાષામાં નીચેના સ્વરૂપને પામ્યો અને ગઝલમાં સ્થાન મેળવી શક્યો:

આંખોમાં નિમંત્રણ અને શબ્દોમાં નિયંત્રણ
ઈચ્છાનું વિનયનું લલગાગા લલગાગા

તો ભાસ ચાલે છે… ગઝલનો ભાવ આધ્યાત્મીક છે એમાં વળી શૃંગારરસથી ભરપૂર એવો આ શેર તો રદ જ કરવો પડ્યોઃ

પડદા પાછળ છે અડધો ચહેરો એ
એક ગ્રહણ ખંડગ્રાસ ચાલે છે

વ્યાપાર ચલાવો છો તમે ગઝલમાં મેં નીચેનો શેર જ્યારે મારી પત્નીને સંભળાવ્યો તો એણે કહ્યું કે આવું બધું લખીશને તો લોકો મારવા આવશે.

મંદ મલક્યા કરો છો શેષ ઉપર પોઢીને
આ કઈ રીતથી સંસાર ચલાવો છો તમે

બીજા મારશે એ પહેલા પત્ની મારશે એ જ બીકે શેષશાયી વિષ્ણુને ગઝલથી દૂર રાખવા પડ્યાં.

સમજી શકું છું વાળી ગઝલમાં નીચેનો શેર સુઝ્યો ત્યારે ઘણી વાર સુધી હસતો જ રહ્યોઃ

લખાયા છે લલાટે લેખ લાંબા
તમારી ટાલને સમજી શકું છું

કેટલાક સુંદર શેર લખાઈ તો ગયા પણ એમની ગઝલ હજુ પૂરી નથી થઈ શકી. જેમ કે,

યાદો થઈ ન મ્યાન તમારા ગયા પછી
ઘાયલ છે વર્તમાન તમારા ગયા પછી

પકડીને પી જશો તો નયનથી વહી જશે
એ ઝાંઝવાનું જળ છે, કોઈને પચ્યું નથી

આવા તો ઘણા બીજા શેર છે પણ એમની વાત ફરી ક્યારેક.

હેમંત પુણેકર

This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

28 Responses to થોડુંક આમ જ!

  1. ”દીપ” કહે છે:

    મને પણ આ અનુભવ થયો છે… પણ તમે આ બધા શેરને સાચવીને રાખ્યા એ વાત મને ખુબ ગમી,
    હેમંતભાઈ આપનો ખુબ ધન્યવાદ આ માર્ગ બતાવવા બદલ, 🙂

    દિકરો સારો હોય કે ખરાબ માંનો તો હંમેશા વહાલોજ રહેવાનો 🙂

  2. વિવેક ટેલર કહે છે:

    વાહ હેમંત ! ફોર-અ-ચેઇંજ આ ગમ્યું…

    મંદ મલક્યા કરો છો શેષ ઉપર પોઢીને
    આ કઈ રીતથી સંસાર ચલાવો છો તમે
    – આ શેર વાંચીને કોઈ શા માટે મારવા આવે? ભગવાને કોઈને છોડ્યા નથી અને કોઈ કવિએ પણ ભગવાનને છોડ્યા નથી…

    લખાયા છે લલાટે લેખ લાંબા
    તમારી ટાલને સમજી શકું છું
    – આ તો અદભુત છે… આખી હઝલ લખી નાંખો, જોઉં!!!

    યાદો થઈ ન મ્યાન તમારા ગયા પછી
    ઘાયલ છે વર્તમાન તમારા ગયા પછી

    પકડીને પી જશો તો નયનથી વહી જશે
    એ ઝાંઝવાનું જળ છે, કોઈને પચ્યું નથી

    – આ બંને શેર અદભુત છે… બંનેની અલગ પણ આગવી મજા છે… એ ગઝલ ન બને તો પણ એમનું સૌંદર્ય અનિર્વચનીય અને અક્ષુણ્ણ જ રહેશે…

  3. યશવંત ઠક્કર કહે છે:

    હેમંતભાઈ,
    અભિનંદન.
    ભલભલા કવિઓ પોતાની રચનાપ્રક્રિયા ખુલ્લી પાડતા નથી. અમુક પત્તા બંધ જ રાખે છે! પણ તમે આ નવો ચીલો પાડ્યો છે. તમારું આ પારદર્શીપણું ગમ્યું. કોઈકે તો શરૂઆત કરવી જ જોઈએ. ફિલ્મવાળા ભલે ગમે તે હેતુથી .. મેકિંગ ઓફ ફલાણા ફલાણા બનાવે છે… જેનાથી જે તે ફિલ્મની રચના વખતની વાતો રજૂ કરે છે. તમે આ ‘મેકિંગ ઓફ ગઝલ’જેવું કામ કર્યું છે. જે અમારા જેવા ઘણાને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડશે. આ પ્રયોગ ચાલુ જ રાખશો એવી વિનંતી.
    તમે અન્યની રચના પર જે ખુલ્લા મનથી પ્રતિભાવો આપો છો,કહેવાલાયક જરૂરી વાત કહો છો અને અમુક મુદ્દાઓ પર ધ્યાન દોરો છો; એ કામ જેવુંતેવું નથી. .. અને એ પણ એક મિત્ર જેવી સહજતાથી! તમે આવું કરી શકો છો. કારણ કે તમે હેમંત પુણેકર છો!!!!

  4. કુણાલ કહે છે:

    વાહ … યશવંત કાકા એ ઘણી સાચી વાત કરી … “મેકિંગ ઓફ ગઝલ” … ખુબ સરસ .. આ ચીલો ચીતર્યો જ છે તો આશા રાખું કે ચાલુ જ રાખશો તમે …

    અને તમે મને હમેશા યાદ રહો છો તમારા અગાઉ મળેલા માર્ગદર્શન ના લીધે … કદાચ તમે ભૂલી ગયા હશો કદાચ …

    અને ટાલ વાળા શેર પર તો હુંય ખુબ હસ્યો ઓફીસમાં બેસી ને … 🙂

    આને આખરી ઝાંઝવાનાં જળવાળો શેર ખરેખર દિલફાળ ધાંસુ બન્યો છે .. !! 🙂

    અને પ્રથમ શેરમાં જે લહેકો અને રોજ-બ-રોજની બોલચાલની ભાષાની છાંટ દેખાય છે તે એને કંઈક અલગ જ રંગ આપે છે …

    તમારું આ “થોડુંક આમ જ” મને તો બૌ ગમ્યું …

  5. રાજની ટાંક કહે છે:

    અમને તો આવા કચરા સાથે પણ પ્રેમ છે હેમંતભાઈ.
    અને હા..!
    “લખાયા છે લલાટે લેખ લાંબા
    તમારી ટાલને સમજી શકું છું”
    આ શેર પરથી એક સરસ માજાની હઝલ બની શકે તેમ છે. 😀

  6. સુનીલ શાહ કહે છે:

    વાહ…
    હેમંતભાઈ, ગમ્યું.
    વિવેકભાઈની વાત સાથે સંમત.

  7. Dipak Joshi કહે છે:

    Saras.., aavu ketalook rahi jatu hoy 6, je pragat karva thi halavash mahesus thai hashe..

  8. devikadhruva કહે છે:

    આ વાત તો બહુ જ ગમી.આવું આવું તો વારંવાર બન્યા જ કરતું હોય છે.પણ નેપથ્ય પાછળનું તમારું આ આરપાર ચિત્ર નિખાલસ દિલની ઝલક બતાવી ગયું.સરસ,સરસ…

  9. saksharthakkar કહે છે:

    દરેક શેર ગમ્યો…
    જો આવા શેર(જે ગઝલમાં રૂપાંતરિત ન થયા હોય) સંકલિત કરીને તમે એક ચોપડી બનાવશો તો પણ હું ખરીદી લઈશ…
    you rock… 🙂

  10. ઊર્મિ કહે છે:

    અલાયદા શેર પરથી આખી ગઝલ લખાય તો ઠીક, નહીંતર બધા જ શેરનું એક આગવું સૌદર્ય છે.

    હઝલવાળી વાત વાઘ કે બકરીવાળા કોઈ શેર વખતે પણ કહી હતી… તો કમ સે કમ ટાલવાળી એક હઝલ હી હો જાયે, હેમંત ! 🙂

  11. pragnaju કહે છે:

    “છંદ નામનું બંધન અંતે તો કવિના અર્ધજાગ્રત મનમાં રહેલી કાવ્યાત્મક શક્યતાઓમાં વિહાર કરવાની તક પૂરી પાડે છે”…आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशॄङखला। यया बद्धा: प्राधावन्ति मुक्तास्तिष्ठन्ति पङ्गुवत्॥‘મન એવં મનુષ્યાણામ કારણ બંધમોક્ષયો:’ – મન જ બંધન અને મોક્ષનું કારણ છે. યોગીઓથી માંડી મનોવિજ્ઞાનીઓ ‘મન’નું મહત્વ સમજાવવા તેનો છૂટથી ઉપયોગ કરે છે. દેખાવમાં સાદું વાક્ય છે, સ્પષ્ટ અર્થ ધરાવતું કે મનને કારણે જ મનુષ્ય બંધન એટલે કે ગુલામીમાં ફસાય છે અને આ મન જ પાછું તેને આ ગુલામીમાંથી મુક્ત કરી શકે છે. અથવા મોક્ષ આપે છે. માટે મન જ સર્વસ્વ છે. મનને સમજો. સીધો-સપાટ અને સાદો અર્થ ધરાવે છે તે. પણ એવો સાદો અર્થ છે નહીં. જેમ જેમ વિચાર કરતાં જઈએ, તેમ તેમ આ સૂત્ર ઉઘડતું જાય છે અને કેલિડોસ્કોપના વિવિધ રંગો જેમ નવી જ ડિઝાઈનો જન્માવે છે
    મંદ મલક્યા કરો છો શેષ ઉપર પોઢીને
    આ કઈ રીતથી સંસાર ચલાવો છો તમે
    યાદ આવી
    લગાકર હાથમેં મેંદી હલાલ કર ડાલા
    બનાકર મસ્ત મુઝે પામાલ કર ડાલા

  12. વાહ હેમંતભાઈ,
    આખી ગઝલ લખાય ત્યાંસુધીમાં આવો અનુભવ અનેકવાર થતો હોય,પણ અહીં તમે જે રીતે થોડુંક આમ જ સહજ અને નિખાલસ પ્રસ્તુતિ કરીને બધા સાથે એ વિગત શૅર કરી એ સરાહનીય છે.
    મારા અનુભવ મુજબ, આ રીતે જુદી તારવેલ પંક્તિમાંથી મેં ઘણીવાર નવી જ ગઝલ લખી છે…..!!!!

  13. P Shah કહે છે:

    સૌંદર્યસભર બધા જ શેર ગમ્યા.

    આ દોહરો સૌને ગમશે-

    શ્યામ હતા ત્યારે હતા હવે તો નથી શ્વેત,
    મોસમ આવી વીગની મને તો નથી ખેદ.

  14. sapana કહે છે:

    હેમંતભાઈ સરસ આઈડીયા આપ્યો..તમારી ગઝલો હમેશા માણુ છું ભાવના સાચવી રાખવી પડે ભલે ગઝલમાં ફીટ ન થાય..ગઝલને બંધન છે ભાવનાને નહી..તમે શું હેમંતભાઈ આમ જ સંસાર ચાલે છે..
    ક્યારેક મારા બ્લોગમા પધારવા આમંત્રણ છે..
    સપના

  15. himanshupatel555 કહે છે:

    ઝવાહર બક્ષીએ એક વાર કહ્યું હતુ ત્રણેક હજાર શેર ફાડી કાઢ્યા હતા પછી એક સંગ્રહ આપ્યો,
    સિતાંશુભાઈ કહેતા ઘણુ ફાડ્યું ઘણુ મઠાર્યું, કવિતા લેખન હમેશા મનોમંથન અને ફેરફારથી લથબથ
    પ્રક્રીયા છે, તમે સાચવી રાખી તેના તરફ ફરીથી જોયું અને વિચાર્યું એ તમારી સર્જન પ્રક્રિયાને
    આહવાન છે,તમે સ્વીકાર્યું તે ગમ્યું.

  16. jjkishor કહે છે:

    પ્રિય હેમંત,

    તમે આજે એક ઘણી મોટી વાત જાણે તે સાવ સાધારણ હોય તે રીતે મૂકી છે. ઉમાશંકરભાઈએ પોતાના એક ગ્રંથમાં લેખનું શીર્ષક જ કંઈક “લખ, ચૅર, છેક, ભૂંસ”ને લગતું આપ્યું છે !! આ પ્રક્રિયા આખી સર્જનાત્મક કાર્યમાં અનન્ય, અનિવાર્ય અને ક્યારેક ભૂલથી નાખી દેવા જેવી લાગનારી હોય છે. પણ તમે આજે એને અહીં મૂકીને બહુ ઉપયોગી કાર્ય કર્યું છે.

    નીકળી ગયેલા ટુકડાઓ તો ખરા જ, પરંતુ એ તૂટતા કેટલાક ટુકડાઓમાં તથા એ શિલ્પકાર્ય દરમિયાન પણ કેટલીક આકૃતિઓ જતી રહેતી હોય છે !! છૂટી ગયેલા શેરો છૂટતાં પહેલાં અને છૂટતાં છૂટતાં મૂળ રચનાને ઘણુંબધું આપી ગયા હોય છે. ગયા પછી એ ટુકડાઓ નકામા કે સ્વતંત્રરૂપે નકામા નથી હોતા, એ ટુકડાઓની સાથે મૂળ કૃતિના કેટલાક અંશો પણ ચોંટેલા હોય છે !! એ બધા ટુકડાઓમાંથી જે નવી રચના કે રચનાઓ બને તેમાં મૂળ કૃતિના સંબંધો શોધી શકાય ! આ એક અત્યંત સૂક્ષ્મ અને સંકુલ પ્રક્રિયા કે ઘટના છે.

    શિલ્પીને છૂટી ગયેલા ટુકડાઓ પ્રત્યે ફક્ત પ્રેમ જ નથી હોતો પણ જે છૂટી ગયું “તેમાં જતી રહેલી” કેટલીક સંભવિત કે હવે નહીં બની શકનારી આકૃતિઓની વેદના પણ હોય છે ! વળી આગળ કહ્યું તેમ તે ટુકડા છૂટી જવાથી કે છૂટ્યા બાદ બનેલી આકૃતિને પડેલી કેટલીક ‘ખોટ’ પણ એને ચૂભે એમ બને !

    આ દરેક ટુકડો ખરેખર તો સ્વતંત્ર ગણવો જોઈએ. એને દરેકને ભવિષ્યની કોઈ સ્વતંત્ર રચનાના સ્રોતરૂપ ગણવો, પણ બધાને ભેગા કરીને કોઈ રચના કરાય નહીં…

    આ નીકળી જઈને કોઈને માર્ગ આપનારી પંક્તિઓનું મૂલ્ય મારે મન અમૂલ્ય છે. મકાનને ચણનારા પાયાના પથ્થરો કે એના મજૂરોની જેમ તેઓ દટાઈ કે વિસરાઈ જવા સર્જાયા હોય છે.

    કાવ્યસર્જનને આમ સામાજિકતા સુધી લઈ જવા બદલ ક્ષમાપ્રાર્થના અને આ મહત્ત્વનું કામ કરીને મને આટલું લખવા પ્રેર્યો તે બદલ આભાર.

  17. Dilip Gajjar કહે છે:

    હેમંતભાઇ, ગમ્યું…નિખાલસતાથી આપે વાત કરી…
    મંદ મલક્યા કરો છો શેષ ઉપર પોઢીને
    આ કઈ રીતથી સંસાર ચલાવો છો તમે
    આ તો આધ્યાત્મિક શેર જ છે..લક્ષ્મીજી જ કહેતા હોય તેમ આવા ઘણાં વ્યંગ મેં સન્સ્કૃત સુભાષિતમાં વાચ્યાં છે..
    અભિનંદન…

  18. પરિમલ કહે છે:

    અદ્‍ભૂત અને આહ્‌લાદક.
    પ્રથમ વિશેષણ લેખની પ્રસ્તુતી માટે અને બીજુ એ અહીં પ્રસ્તુત દરેક શેર માટે.
    તમારો આ નવો પ્રયોગ ખૂબ જ ગમ્યો.

    મોતી માળામાં પરોવેલા હોય કે મુક્ત હોય તે આખરે રહે છે તો મોતી જ. વણપરોવેલા મોતી જેવો આ પ્રત્યેક શેર કદાચ તે જ રીતે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને તેથી જ તે વધુ અસરકારક લાગે છે. કાવ્યના વનમાં મુક્તવિહાર કરતા ‘શેર’નો પ્રભાવ જ કાંઈક ઓર છે.

    આપ પાસેથી આવા વધુ મોતીઓની અપેક્ષા રહેશે. આભાર..

  19. વિનય ખત્રી કહે છે:

    ‘મેકીંગ ઑફ ધ ગઝલ’ પોસ્ટનો પ્રયોગ ગમ્યો.

  20. readsetu કહે છે:

    તમારી આ દિલખોલ વાતો બહુ ગમી. બધા શેર સરસ બન્યા છે અને છેલ્લા બે તો સલામ !!

    Lata Hirani

  21. Daxesh Contractor કહે છે:

    હેમંતભાઈ,
    મજાની વાત કરી. જો કે દરેક સર્જક આ પ્રકિયામાંથી પસાર થતો જ હોય છે. તમારી જેમ જ લખતાં લખતાં ગઝલના ભાવમાં સાંકળી ન શકાય તેવી પંક્તિઓ લઈ મેં સમઅંત્યાનુપ્રાસી મુક્તકો બનાવી દીધેલા — http://www.mitixa.com/2009/412.htm
    તમારા બે શેર ખુબ ગમ્યા ..
    લખાયા છે લલાટે લેખ લાંબા
    તમારી ટાલને સમજી શકું છું
    અને,
    યાદો થઈ ન મ્યાન તમારા ગયા પછી
    ઘાયલ છે વર્તમાન તમારા ગયા પછી.

  22. "માનવ" કહે છે:

    Now i am aware of this…

    thank you so much

  23. Chirag કહે છે:

    સરસ હેમંત. મેં પણ આવું જ કંઈક થોડા સમય પહેલા મુક્યું હતું. http://rutmandal.info/swaranjali/2010/03/21/adhura/

    અને આ શનીવારે તો શૃંગારીક કાવ્યો મુકી જ દીધાં.

    સર્જનપ્રક્રીયા સોનુ તપાવવાની ક્રીયા છે.

  24. Pinki કહે છે:

    ohhh…. nice to read and see the bricks of ur gazals !!

    but I enjoyed looooooooot…

    લખાયા છે લલાટે લેખ લાંબા
    તમારી ટાલને સમજી શકું છું !!!! waiting for g/hazal ……..

  25. sudhir patel કહે છે:

    સરળ અને સહજ રીતે સર્જન-પ્રક્રિયાને તમે અહીં મૂકી આપી!
    અહીં મૂકેલાં શેર પણ માનાવાલાયકા છે!
    સુધીર પટેલ.

  26. nilam doshi કહે છે:

    આખી વાત ખૂબ ગમી..અને ઘણાં શેર પણ…

  27. હેમંતભાઈ,
    કૃત્રિમતા વગરની વાત ખુબ ગમી. સરસ વિચાર દરેકને માટે આપ્યો..

  28. કુણાલ કહે છે:

    waiting for another round of “thoduk aam j” 🙂

Leave a reply to Dilip Gajjar જવાબ રદ કરો