છેલ્લા બે-અઢી વર્ષથી મુખ્યત્વે ગઝલો જ લખું છું. ગઝલના છંદોથી શરૂઆતમાં હું ગભરાતો. પણ ધીમે ધીમે એ સમજી શક્યો કે છંદ નામનું બંધન અંતે તો કવિના અર્ધજાગ્રત મનમાં રહેલી કાવ્યાત્મક શક્યતાઓમાં વિહાર કરવાની તક પૂરી પાડે છે. એકાદ શેર લખાય અને રદીફ કાફિયા નક્કી થાય પછી એના પ્રવાહમાં ઘણી અજાણી/ન વિચારેલી ચીજો ઘસડાઈને બહાર આવે છે. વધુમાં, આ બાહ્યસ્વરૂપનું બંધન કવિની સર્જનશીલતાને પડકારે છે. આમ, સ્વરૂપનું બંધન સ્વીકારવું એ કાવ્ય રચના માટે ઉપકારક જ સાબિત થાય છે.
પણ મારે વાત કરવી છે ગઝલ લખતા-લખતા જડેલા એવા કેટલાક શેરની જે અલગઅલગ કારણોસર રદબાતલ કરવા પડ્યાં કે સ્વરૂપમાં ખૂબ જ બદલાઈ ગયા. એક એવા મૂર્તિકાર જેવી મારી હાલત છે, જે એક આખા પથ્થરમાંથી મૂર્તિ કંડારી લોકોને બતાવે તો છે, પણ મૂર્તિ બનાવતી વખતે પથ્થરનો જે ભાગ કરચો રૂપે નીકળી ગયો એના પર પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો એ મૂર્તિ પર કરે છે.
આ શેર નીકળી ગયા એનું મુખ્ય કારણ તો એ જ હતું કે તેઓ જે-તે ગઝલના ભાવપ્રવાહ સાથે (મૂડ સાથે) ચાલે એવા ન હતાં. ક્યારેક રમુજી તો ક્યારેક સંજીદા. પણ શેર તરીકે એમની પણ એક મજા છે. ભાષણ બહુ થયું, તમે વાંચવાનું છોડી દો એ પહેલા થોડા ઉદાહરણ જ લઉં:
લલગાગા લલગાગા ગઝલમાં એક શેર સુઝ્યો હતો અને કેમે કરીને એને જવા દેવાની ઈચ્છા નહોતી:
આંખોના ઉલાળા અને અડીએ તો બખાળા
અમથા આ વિનયનું લલગાગા લલગાગા
પણ ગઝલ એ એક શિષ્ટ કાવ્યપ્રકાર છે એમાં આવા ઉલાળા-બખાળા ના કરાય. તેથી આ જ શેર સભ્ય ભાષામાં નીચેના સ્વરૂપને પામ્યો અને ગઝલમાં સ્થાન મેળવી શક્યો:
આંખોમાં નિમંત્રણ અને શબ્દોમાં નિયંત્રણ
ઈચ્છાનું વિનયનું લલગાગા લલગાગા
તો ભાસ ચાલે છે… ગઝલનો ભાવ આધ્યાત્મીક છે એમાં વળી શૃંગારરસથી ભરપૂર એવો આ શેર તો રદ જ કરવો પડ્યોઃ
પડદા પાછળ છે અડધો ચહેરો એ
એક ગ્રહણ ખંડગ્રાસ ચાલે છે
વ્યાપાર ચલાવો છો તમે ગઝલમાં મેં નીચેનો શેર જ્યારે મારી પત્નીને સંભળાવ્યો તો એણે કહ્યું કે આવું બધું લખીશને તો લોકો મારવા આવશે.
મંદ મલક્યા કરો છો શેષ ઉપર પોઢીને
આ કઈ રીતથી સંસાર ચલાવો છો તમે
બીજા મારશે એ પહેલા પત્ની મારશે એ જ બીકે શેષશાયી વિષ્ણુને ગઝલથી દૂર રાખવા પડ્યાં.
સમજી શકું છું વાળી ગઝલમાં નીચેનો શેર સુઝ્યો ત્યારે ઘણી વાર સુધી હસતો જ રહ્યોઃ
લખાયા છે લલાટે લેખ લાંબા
તમારી ટાલને સમજી શકું છું
કેટલાક સુંદર શેર લખાઈ તો ગયા પણ એમની ગઝલ હજુ પૂરી નથી થઈ શકી. જેમ કે,
યાદો થઈ ન મ્યાન તમારા ગયા પછી
ઘાયલ છે વર્તમાન તમારા ગયા પછી
પકડીને પી જશો તો નયનથી વહી જશે
એ ઝાંઝવાનું જળ છે, કોઈને પચ્યું નથી
આવા તો ઘણા બીજા શેર છે પણ એમની વાત ફરી ક્યારેક.
હેમંત પુણેકર